ilovesurat : એર ઈન્ડિયાની વિશેષ ફલાઈટ મારફતે સુરત એરપોર્ટ પર સુરત લાવવામાં આવ્યો હતો.
ilovesurat News : કાશ્મીરના પહેલાગામમાં થયેલા આતંકી હુમલામાં સુરતના શૈલેષ કળથિયાએ પણ જીવ ગુમાવ્યો હતો. આતંકીઓએ શૈલેષભાઈને છાતીમાં જ ગોળી મારી હતી, તેમના મૃતદેહને મોડી રાત્રે સુરત લવાયો હતો. ગુરુવારે કઠોરમાં તેમના અગ્નિસંસ્કાર કરાશે.
ભીની આંખોએ આપી અંતિમ વિદાય
વરાછાના શૈલેષ હિંમતભાઈ કળથિયાની અંતિમ યાત્રા ગુરુવારે તેમના નિવાસસ્થાનેથી નિકળશે, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેશે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તકેદારીરૂપે તેમના ઘરથી સ્મશાનભૂમિ સુધી સવારથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાશે. ભીડ વધશે તો વધુ ફોર્સ મંગાવવાની પણ પોલીસની તૈયારી છે. હાલમાં 7 પોલીસ ઈન્સ્પેકટર, 14 પોલીસ સબ ઈન્સ્પેકટર અને 78 પોલીસકર્મીને તૈનાત કરાશે.
શૈલેષભાઈનાં બેસણાં માટે પાલિકાએ કોમ્યુનિટી હોલની વ્યવસ્થા કરી છે. મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું કે, મોટા વરાછા સ્થિત કોમ્યુનિટી હોલ વિના મૂલ્યે ફાળવવાનું નક્કી કરાયું છે. વોર્ડના કાર્યકર્તાઓ તેમના પરિવારના સતત સંપર્કમાં છે. મોડી રાત્રે તેમના મૃતદેહને એરપોર્ટથી સીધા નવી સિવિલ હોસ્પિટલ લઇ જવાયો હતો. ગુરુવારે સવારે 7 વાગે મૃતદેહને મોટા વરાછા સ્થિત કસ્તુરી બંગલો નિવાસસ્થાને લઇ જઈ સવારે 8 કલાકે અંતિમયાત્રા કઠોર અબ્રામા સ્મશાનગૃહ ખાતે જશે.
ilovesurat : પરિવાર સાથેની અંતિમ તસવીરો



ગોળી વાગ્યા પછી શૈલેષને શીતલે પાણી પીવડાવ્યું, પછી આર્મી શીતલ-બાળકોને હોટલમાં લઇ ગઈ, મૃત્યુની જાણ ન કરાઈ
શૈલેષે સોમવારે ફોન પર પૂછ્યું હતું, ‘પપ્પા અહીં સ્વેટર સારા મળે છે, તમારા માટે લાવું?’
વહુએ ફોન કર્યો હતો કે ‘પપ્પા માતાજીની માનતા રાખી લો, શૈલેષને કંઇ થાય નહી’
ઘટના અંગે ilovesurat સાથેની વાતચીતમાં મૃતક શૈલેષભાઈના પિતા હિંમતભાઈ કળથિયાએ કહ્યું કે, મંગળવારે રાત્રે વહુ સાથે વાત થઈ હતી અને તેમણે મને કહ્યું હતું કે, ‘પપ્પા માતાજીની માનતા રાખી લો કે શૈલેષને કંઈ થાય નહીં’. જ્યારે આતંકીઓએ શૈલેષને ગોળી મારી ત્યારે તેની પત્ની અને દીકરો-દીકરી સાથે જ હતા. ગોળી વાગ્યા પછી જમીન પર શૈલેષ પટકાયો ત્યારે તેમની પત્ની શીતલ 10 મિનિટ તેમની સાથે હતી અને પાણી પીવડાવ્યું હતું પછી આર્મી આવી અને શૈલેષને હોસ્પિટલ લઇ ગઈ હતી. જ્યારે શીતલ અને સંતાનોને હોટલ લઇ જવામાં આવ્યાં હતાં. જો કે શીતલને શૈલેષના મૃત્યુની જાણ કરવામાં આવી ન હતી. હિંમતભાઈએ ઉમેર્યું કે, મારે શૈલેષ સાથે સોમવારે વાત થઈ હતી. તેનો કોલ આવ્યો હતો અને તેણે પૂછ્યું કે, પપ્પા અહીં સ્વેટર સારા મળે છે તમારા માટે લઇ આવું. મેં હા પાડી હતી અને પૂછ્યું કે ફરવાની મજા આવે છે ને? પછી દીકરા અને દીકરી સાથે વાત કરી હતી. તેઓ મુંબઇથી કાશ્મીર ફરવા ગયા હતા. 5 દિવસનું પેકેજ હોવાથી 18 તારીખે મુંબઇથી નીકળ્યા હતા અને આજે 23 તારીખે પાછા ફરવાના હતા પણ તે પહેલાં જ મારા દીકરાનું મૃત્યુ થઈ ગયું. હવે આપણે પણ આતંકીઓને એકતા બતાવવાનો સમય આવી ગયો છે. એક પિતા તરીકે હું અપીલ કરું છું કે મારા દીકરાની સ્મશાન યાત્રામાં સૌ કોઈ જોડાય અને આપણે એકતા બતાવીએ.
બાપુની કથામાં કારમીર ગયેલા 18 સહિત 153 યાત્રી સુરક્ષિત, પરત ફરવા માંડ્યા
રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ શૈલેશભાઈના પરિવારજનોને મળીને સાંત્વના આપી હતી તેમજ જરૂરી તમામ મદદ કરવા તૈયારી પણ દર્શાવી હતી.
શૈલેષ કળથિયાનાં બેસણાંની વિધિ માટે મોટા વરાછાનો કમ્યુનિટી હોલ ફાળવાયો, પોલીસે ઘરથી સ્મશાન સુધી બંદોબસ્ત ગોઠવ્યો
કારમીર મોરારી બાપુની કથામાં ગયેલા 18 લોકો સહિત 153 પ્રવાસીઓ સુરક્ષિત છે અને ધીમે-ધીમે પરત ફરી રહ્યા છે. ટ્રાવેલ્સ એસોસિએશનના સેક્રેટરી કિશન જોષીએ જણાવ્યું કે, એસોસિએશન સાથે સંકળાયેલા સુરત જિલ્લાના 600 ટુર ઓપરેટરો હાલમાં કાશ્મીર હુમલાને પગલે એકમેકના સંપર્ક કેળવી પ્રવાસીઓની વિગતો મેળવી રહ્યા છે.
સલાબતપુરા સ્થિત ડેસ્ટીની ટ્રાવેલ્સનાં મોન્ટીભાઈ સાથે શ્રીનગર ગયેલા 45 પ્રવાસી પરત ફરી રહ્યા છે. ઉમિયા ટૂર્સના રોનક પટેલ સાથે 90 પ્રવાસી શ્રીનગરમાં સુરક્ષિત સ્થળે પહોંચી પરત આવી રહ્યા છે. શ્રીનગરમાં મોરારીબાપુની કથામાં હાજરી આપવા સુરતથી ટ્રેનમાં ગયેલા 18 પ્રવાસી સુરક્ષિત છે, બિપીન કાતરીયાએ કહ્યું કે, તેઓ પણ પરત ફરી રહ્યા છે.